Privacy Policy
હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના સંકેતે ક્રૂડ ઓઇલ સસ્તુ, છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ યથાવત
 દેવભૂમિ દ્વારકા માં આવેલી Tata ચેમિકેલ્સ ને સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે Gujarat High Courtની કડક ફટકાર
ઈરાનની 90% યુરેનિયમ સંવર્ધનની ધમકીથી દુનિયામાં ચિંતા, શું ફરી ભભૂકી શકે અમેરિકા-ઈરાન યુદ્ધ?
આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં બેદરકારીનો વિવાદ: જામનગરમાં બે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત, એનએસયુઆઈની રજૂઆત
એક વર્ષ સોનાથી દૂર રહેવાની અપીલ: પીએમ મોદીના સંદેશથી ગુજરાતના ઝવેરી બજારમાં શું પડશે અસર?
Contact Us

સાયલામાં નિશાચરોનો આતંક: બારીની જાળી કાપી ઘરમાં ઘુસી લાખોની ચોરી

સાયલા તાલુકામાં ફરી એકવાર નિશાચરોનો આતંક સામે આવ્યો છે, જ્યાં અજાણ્યા તસ્કરોએ એક ગરીબ શ્રમિક પરિવારને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો છે. મળતી માહિતી અનુસાર, સાયલામાં ખેત મજૂરી કરીને જીવન ગુજારતા વિનુભાઈ હમીરભાઈ અધારા ના મકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી. ચોરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ચોરીને અંજામ આપ્યો હતો. તેઓએ ઘરના પાછળના ભાગમાં આવેલા વરંડાની બારીની લોખંડી જાળી કાપી નાખી અને ત્યારબાદ શાંતિપૂર્વક રૂમમાં પ્રવેશ કર્યો હતો. પરિવારના સભ્યો ઊંઘમાં હતા ત્યારે તસ્કરોએ ઘરમાં રાખેલા કિંમતી દાગીના પર હાથ ફેરવ્યો અને કોઈને જાણ પણ ના પડે તે રીતે ફરાર થઈ ગયા હતા. ચોરી દરમિયાન તસ્કરો આશરે 7 થી 8 તોલા સોનાના ઘરેણાં તેમજ ચાંદીના દાગીનાં લઈને ભાગી ગયા હતા. આ દાગીનાંની કુલ કિંમત લાખોમાં હોવાનું અનુમાન છે. સવારે પરિવાર જાગ્યો ત્યારે ચોરીની ઘટના સામે આવતા ઘરમા હાહાકાર મચી ગયો હતો. ભોગ બનનાર વિનુભાઈએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ તેમણે પોતાનું ખેતર વેચ્યું હતું. ખેતર વેચાણમાંથી મળેલી રકમમાંથી તેમણે પોતાની નાની દીકરીના લગ્ન માટે ખાસ કરીને સોનાના ઘરેણાં બનાવડાવ્યા હતા. પરિવારની વર્ષોની મહેનત અને બચતનો આ એકમાત્ર સહારો હતો, જે એક જ રાતમાં ચોરો લઈ જતા પરિવાર માટે આઘાતજનક સ્થિતિ ઉભી થઈ છે. વિનુભાઈ અને તેમનો પરિવાર ખેત મજૂરી કરીને જીવન પસાર કરે છે. આવી સ્થિતિમાં ખેતર વેચીને ભેગી કરેલી મૂડીમાંથી બનાવડાવેલા દાગીનાં ગુમાવતાં તેમના માટે આર્થિક અને માનસિક બંને રીતે મોટો ઝટકો લાગ્યો છે. પરિવારના સભ્યોમાં શોક અને નિરાશાનું વાતાવરણ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા. આ સાથે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, તસ્કરોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાત્રિ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. સ્થાનિક લોકોમાં ચોરીની વધતી ઘટનાઓને કારણે ભયનો માહોલ સર્જાયો છે. લોકો હવે પોતાના ઘર અને સંપત્તિની સુરક્ષા અંગે ચિંતિત બન્યા છે. પોલીસ તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આ ઘટના એકવાર ફરીથી પ્રશ્ન ઊભો કરે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે. ગરીબ અને મહેનતકશ લોકોની મહેનતની કમાણી આ રીતે લૂંટાઈ જાય તે ખુબ જ દુઃખદ બાબત છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ