ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Templeના પવિત્ર સાંનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃત પર્વ” અંતર્ગત એક ઐતિહાસિક અને રોમાંચક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ “સૂર્યકિરણ એરોબિક્સ ટીમ” દ્વારા 11મી મેના રોજ સોમનાથના આકાશમાં પહેલીવાર દિલધડક “સૂર્યકિરણ એર શો” યોજાશે. આ ભવ્ય એર શોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ એર શોના ટ્રાયલ દરમિયાન આજે પ્રભાસક્ષેત્રના આકાશમાં વિવિધ ફોર્મેશન અને હવાઈ કરતબોનું અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આકાશમાં ગર્જના કરતા ફાઈટર જેટ અને તેમની ચપળ ગતિ જોઈ લોકો આશ્ચર્યચકિત બની ગયા હતા. દરિયાકાંઠે ઉભેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓએ મોબાઈલમાં આ યાદગાર ક્ષણોને કેદ કરી હતી.
ભારતીય વાયુસેનાના હાક-એમ.કે.-132 શ્રેણીના કુલ 6 ફાઈટર જેટ આ એર શોમાં ભાગ લેશે. આ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં ટ્રાઈકલર સ્મોક ટ્રેઈલ, કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લોઝ ફોર્મેશન અને ડાયમંડ ફોર્મેશન જેવા અનેક રોમાંચક કરતબો રજૂ કરવામાં આવશે. ખાસ કરીને તિરંગાના રંગોથી આકાશ રંગાઈ જશે તે દ્રશ્ય દેશભક્તિનો અહેસાસ કરાવશે.
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર Janmeet Sharmaએ માહિતી આપતાં જણાવ્યું હતું કે 11મી મેના રોજ સવારે 11 વાગ્યે આ એર શો શરૂ થશે. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન ગ્રુપ કેપ્ટન અને ટીમ લીડર Ajay Dashrathiના નેતૃત્વ હેઠળ કરવામાં આવશે.
આ હવાઈ કરતબો માત્ર મનોરંજન પૂરતા નથી, પરંતુ ભારતીય વાયુસેનાની કુશળતા, શિસ્ત અને સંકલનની ઝલક પણ પ્રસ્તુત કરે છે. જમીનથી હવામાં અને હવામાંથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધીને કરાતા આ કરતબો માટે અત્યંત સચોટ તાલમેલ જરૂરી હોય છે. ફાઈટર જેટની ઝડપ, નિયંત્રણ અને પાઈલટોની હિંમત લોકોમાં રોમાંચ સાથે ગર્વની લાગણી પણ જગાવશે.
સોમનાથ જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળે પહેલીવાર એર શો યોજાઈ રહ્યો હોવાથી આ કાર્યક્રમનું મહત્વ અનેકગણું વધી ગયું છે. એક તરફ ભગવાન મહાદેવના દર્શન અને બીજી તરફ દેશની વાયુસેનાની શૌર્યગાથા — બંનેનો અનોખો સમન્વય જોવા મળશે.
“સોમનાથ અમૃત પર્વ” દરમિયાન યોજાતા વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં આ એર શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો સોમનાથ પહોંચે તેવી શક્યતા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને દર્શકો માટેની ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.
ટ્રાયલ દરમિયાન લોકોમાં દેશભક્તિનો જુસ્સો છલકાયો હતો. બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌએ આ અનોખા દ્રશ્યોને વધાવી લીધા હતા. ઘણા લોકો માટે આ પહેલીવાર જીવંત એર શો જોવાનો અવસર બન્યો છે.
ભારતીય વાયુસેનાની “સૂર્યકિરણ” ટીમ દેશ-વિદેશમાં પોતાના હવાઈ કરતબો માટે જાણીતી છે. આ ટીમ અનેક રાષ્ટ્રીય પ્રસંગો અને વિશેષ કાર્યક્રમોમાં ભાગ લઈને લોકોમાં દેશપ્રેમની ભાવના જગાવે છે. હવે સોમનાથના આકાશમાં પણ તેમની ગર્જના સંભળાશે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ ગણાશે.
0 ટિપ્પણીઓ