પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધના માહોલ અને ઈરાન-અમેરિકા વચ્ચે વધેલા તણાવની અસર હવે સમગ્ર વિશ્વ પર દેખાવા લાગી છે. ખાસ કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વિસ્તારમાં ઉભી થયેલી અસ્થિરતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. વિશ્વના કુલ તેલ પુરવઠામાં લગભગ 20 ટકા હિસ્સો ધરાવતો આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હાલમાં વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ થોડા જ દિવસોમાં 70 ડોલર પ્રતિ બેરલથી સીધા 126 ડોલર સુધી પહોંચી ગયા હતા. હાલ ભાવ થોડા ઘટીને 101 ડોલર આસપાસ ચાલી રહ્યા છે, પરંતુ બજારમાં હજુ પણ ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. અનેક દેશોમાં ઇંધણના ભાવમાં આગ લાગી ગઈ છે અને સામાન્ય જનજીવન પર સીધી અસર પડી રહી છે.
ભારત જેવા તેલ આયાત પર નિર્ભર દેશ માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. દેશની સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેમ કે Indian Oil Corporation, Bharat Petroleum અને Hindustan Petroleum હાલમાં ભારે આર્થિક દબાણનો સામનો કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કંપનીઓને દર મહિને આશરે ₹30,000 કરોડ જેટલું નુકસાન થઈ રહ્યું છે.
હાલમાં ભારતમાં પેટ્રોલના ભાવ સરેરાશ ₹95 આસપાસ સ્થિર રાખવામાં આવ્યા છે, પરંતુ વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ સતત ઊંચા રહેતા કંપનીઓ માટે આ ભાર સહન કરવો મુશ્કેલ બન્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઘટાડો નહીં થાય તો ભારત સરકાર અને ઓઈલ કંપનીઓને ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા પડશે.
સૂત્રો મુજબ 15 મે પહેલા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર થઈ શકે છે. જો આવું બનશે તો તેનો સીધો પ્રભાવ સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા ખાદ્ય વસ્તુઓ, શાકભાજી, દૂધ અને રોજિંદા જીવનમાં ઉપયોગી અનેક ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે.
વિશેષજ્ઞો કહે છે કે ભારત માટે સૌથી મોટી ચિંતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો માર્ગ છે. આ દરિયાઈ માર્ગ દ્વારા જ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ એશિયન દેશોમાં પહોંચે છે. જો યુદ્ધ વધુ ગંભીર બનશે અથવા આ માર્ગ અવરોધિત થશે તો વિશ્વભરમાં તેલની અછત સર્જાઈ શકે છે.
ભારત સરકાર હાલ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સમાં રાહત કે અન્ય પગલાં લેવાય તેવી શક્યતાઓ પણ ચર્ચાઈ રહી છે, પરંતુ લાંબા ગાળે વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર થયા વગર સામાન્ય લોકોને રાહત મળવી મુશ્કેલ માનવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવો ભારતના ઇંધણ બજાર માટે નિર્ણાયક સાબિત થશે. સામાન્ય લોકો માટે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી ઘરખર્ચ કેટલો વધશે અને મોંઘવારી કેટલી વધુ વધી શકે છે.
0 ટિપ્પણીઓ