ગુજરાતમાં ફરી એકવાર હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી બે મહત્વપૂર્ણ હવામાન સિસ્ટમ એકસાથે સક્રિય થતા અને ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર નોંધાયો છે.
આ સિસ્ટમોની સંયુક્ત અસરને કારણે આજે 6 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ભાગ સુધી, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આ દરમિયાન વીજળી પડવાની શક્યતા પણ હોવાથી લોકો ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, જેનાથી ગરમીથી થોડોક રાહત મળશે. જોકે, ભેજનું પ્રમાણ વધવાને કારણે ઉકળાટનો અનુભવ થઈ શકે છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતો માટે મિશ્ર અસર થઈ શકે છે. કેટલીક પાકોને ફાયદો થઈ શકે છે, જ્યારે તૈયાર પાકને નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. તેથી ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આ બદલાતું હવામાન આગામી થોડા દિવસો સુધી યથાવત રહી શકે છે. તેથી રાજ્યના નાગરિકોને સાવચેત રહેવા અને અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવા સૂચન આપવામાં આવ્યું છે.
0 ટિપ્પણીઓ